હરિયાણાના કન્દ્રોલી ગામના ચીકુ ધાંડાએ કહ્યું કે, "24 મી જાન્યુઆરીની સવારે ત્રણ ટ્રેક્ટર, છ ટ્રેક્ટર ટ્રોલી અને 2 થી 3 ગાડી અમારા ગામથી દિલ્હી જવા રવાના થશે." 28 વર્ષના ખેડૂતે ઉમેર્યું કે, “અમે ટ્રેક્ટર રેલીમાં જોડાવા જઈ રહ્યા છીએ. હું મારું પોતાનું ટ્રેક્ટર દિલ્હી હાંકી જઈશ.”
ચીકુની હરિયાણા-દિલ્હી સરહદ પર સ્થિત સિંઘુની આ છઠ્ઠી મુલાકાત છે. ત્યાં દર વખતે તેઓ સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા હજારો, લાખો ખેડુતો સાથે જોડાય છે. આ માટે દર વખતે તેઓ યમુનાનગર જિલ્લામાં આવેલા કન્દ્રોલીથી 150 કિલોમીટરની મુસાફરી કરે છે, અને રસ્તા પર લગભગ ચાર કલાક મુસાફરી કરે છે. દરેક મુલાકાત વખતે તેઓ આંદોલનકારીઓ સાથે એકતા દર્શાવવા સિંઘુ ખાતે ઓછામાં ઓછું ત્રણ રાત રોકાયા છે.
દરેક સફરમાં તેમની સાથે તેમના 22 વર્ષના પિતરાઈ મોનિન્દર ધાંડા પણ મુસાફરી કરે છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે. તેમના પરિવારો સાથે રહે છે. તેઓ હરિયાણાના મુખ્યત્વે ખેતીવાડી સાથે સંકળાયેલા જાટ સમુદાયના છે અને તેમની 16 એકર જમીન પર તેઓ શાકભાજી, ઘઉં અને ડાંગરની ખેતી કરે છે.
મોનિન્દરે કહ્યું કે, "અમે સ્થાનિક એપીએમસી મંડળીઓમાં અમારા પાક વેચીને દર વર્ષે એકર દીઠ 40000 થી 50000 રુપિયા કમાઈ શકીએ છીએ." મોનિન્દરે કહ્યું કે, "દર વર્ષે ઉત્પાદન ખર્ચ વધતો જાય છે, જ્યારે એમએસપી [ન્યુનતમ ટેકાના ભાવ] વધતા નથી.” આ કમાણીથી તેમના આઠ સભ્યોના પરિવારનું ગુજરાન ચાલે છે.
આ પિતરાઇઓના પરિવારોની જેમ કન્દ્રોલી ગામના 1314 રહેવાસીઓમાંથી મોટાભાગના ખેતીવાડી સાથે સંકળાયેલા છે. જાન્યુઆરીના મધ્યમાં, તેમાંના કેટલાકે કૃષિ આંદોલન સાથે સંબંધિત બાબતોની દેખરેખ અને સંકલન માટે અનૌપચારિક રીતે એક સમિતિ બનાવી હતી. તે સમિતિ ભારતીય કિસાન સંઘ (જેની સાથે ગામના ઘણા ખેડુતો સંકળાયેલા છે) ની વિભાગીય પેટા સમિતિઓના વ્યાપક અવકાશથી વિરુદ્ધ સ્થાનિક સ્તરના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચીકુએ કહ્યું કે, "વિરોધ પ્રદર્શન સ્થળ પર જતા લોકોના ખેતરોની સંભાળ લેવાનો વારો કોનો છે એ ગામની સમિતિ નક્કી કરે છે. તેઓ સિંઘુ ખાતેના લોકો માટે અન્ન પુરવઠાનું પણ સંચાલન કરે છે."


ડાબે: 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીમાં જોડાવા સિંઘુ બોર્ડર તરફ જઈ રહેલા ચીકુ ધાંડા. જમણે: ચીકુની સિંઘુની છેલ્લી સફરનો ફોટો
આંદોલનને ટેકો આપવા કન્દ્રોલીએ અત્યાર સુધીમાં 2 લાખ રુપિયાનું દાન આપ્યું છે. મોનિન્દરે કહ્યું કે દિલ્હીની સરહદો પર જતા લોકો દ્વારા પૈસા મોકલવામાં આવે છે. તેઓ એ પૈસા રાજધાનીમાં અને રાજધાનીની આસપાસના વિવિધ વિરોધ સ્થળો પર હાજર સંઘના પ્રતિનિધિઓને સોંપી દે છે. 24 મી જાન્યુઆરીએ કન્દ્રોલીથી જતો કાફલો બીજા 1 લાખ રુપિયાનું દાન લઈ ગયો હતો, અને ગામના કેટલાક લોકોએ વિરોધ સ્થળોએ લંગરો (સામુદાયિક રસોડાં) માટે દાળ, ખાંડ, દૂધ અને ઘઉં જેવું કરિયાણું દાનમાં આપ્યું હતું.
26 મી નવેમ્બરથી દિલ્હીની સરહદ પર આવા ઘણા સ્થળોએ ખેડુતો ત્રણ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, આ કાયદાઓ અગાઉ 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .
મોટા નિગમોને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. તેઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને ખેડૂતોએ રાજધાનીમાં અભૂતપૂર્વ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ચીકુ અને મોનિન્દર આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ધારે છે. મોનિન્દર ગુસ્સાથી કહે છે , "હાલની વ્યવસ્થા એકદમ બરાબર છે તેવું પણ નથી. પરંતુ આ કાયદાઓથી પરિસ્થિતિ વધુ વણસી છે.”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક